શૃંગારનું પદ Shrungar pad

શૃંગારનું પદ

શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે.
(રચનાઃ વિષ્ણુદાસ)
(રાગઃ બિલાવલ)
આઓ ગોપાલ સિંગાર બનાઉં,
વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે જુ ન્હવાઉં. (‍૧)
અંગ અંગોછ ગુહૂં તેરી બેની, ફૂલન રુચિ-રુચિ માલ બનાઉં,
સુરંગ પાગ જરતારી તોરા રત્નખચિત સિરપેચ બંધાઉં. (૨)
વાગો લાલ સુનેરી છાપો હરી ઈજાર ચરનન વિચરાઉં,
પટુકા સરસ બેંજની રંગકોં હંસુલી હાર હમેલ બનાઉં. (૩)
ગજમોતિનકે હાર મનોહર વનમાલા લે ઉર પહિરાઉં,
લે દરપન દેખો મેરે પ્યારે નિરખ-નિરખ ઉર નૈન સિરાઉં. (૪)
મધુમેવા પકવાન મિઠાઈ અપને કર લે તુમ્હેં જિમાઉં,
‘વિષ્ણુદાસ’કો યહી કૃપાફલ બાલલીલા હોં નિસદિન ગાઉં. (૫)

શબ્દાર્થઃ

ઉબટનો = સુગંધી પદાર્થોથી દેહને ઘસીને સ્વચ્છ કરવો.
જરતારી = જરીના તારવાળા.
તોરા, શિરપેચ = પાગ ઉપર ધરાતાં આભુષણો.
બેંજની = જાંબલી
હંસુલી, હમેલ = શ્રીકંઠના આભુષણ.

ભાવાર્થઃ

હે ગોપાલ! તમે પાસે, આવો. હું તમારા શૃંગાર કરું. સૌપ્રથમ વિવિધ સુગંધી પદાર્થો આપના શ્રીઅંગે લગાવી, આપને અભ્યંગ કરાવીશ અને પછી ગરમ જલથી સ્નાન કરાવીશ. (૧)
તમારું શ્રીઅંગ લૂછી, તમારા કેશ ગૂંથીશ અને તેમાં ફૂલોની રચના કરીને, તમારા કેશની વેણી બનાવીશ. તે કેશથી શોભતા મસ્તક ઉપર લાલ રંગનો પાગ બાંધીશ. પાગ ઉપર સોનેરી જરીના તોરા અને રત્નજડિત શિરપેચ ધરાવીશ. (૨)
        આપનાં ચરણોમાં લીલા રંગનું સૂથન અને શ્રીઅંગે લાલ રંગનો સોનેરી છાપાનો વાગો ધરાવીશ, વાગા ઉપર જાંબલી રંગનો સુંદર પટકો બાંધીશ. આપના શ્રીકંઠમાં હાંસ, હમેલ, હાર વગેરે આભુષણો ધરાવીશ. (૩)
        તે ઉપરાંત ગજમોતીના હાર અને સુંદર વનમાળા પણ ધરાવીશ. હે પ્રિય ! આપ આપના સુંદર મુખને દર્પણમાં જોશો ત્યારે તે મુખનાં દર્શન કરી, હું મારા હૃદય અને નેત્રોને શીતલ કરીશ. (૪)
        ત્યારપછી સુંદર મેવા, પકવાન અને મીઠાઈ મારા હાથમાં લઈ તમને આરોગાવીશ. વિષ્ણુદાસજી કહે છે કે, આપની આ સેવા એ આપની કૃપાનું જ ફળ છે. તે સેવા કરતાં હું હંમેશાં રાતદિવસ તમારી બાળલીલા ગાઈશ. (૫)

No comments:

Post a Comment